ડૉ. યશવંતસિંહ પરમાર હૉર્ટીકલ્ચર અને ફોરેસ્ટ્રી યુનિવર્સિટી, હિમાચલ પ્રદેશ દ્વારા પ્રાકૃતિક ખેતી પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજનમાં ફ્રાંસ, સર્બિયા, બ્રિટન, મોરિશિયસ, નેપાળ વગેરે દેશોના કૃષિ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો.
આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લ, ડૉ. યશવંત સિંહ પરમાર ઔદ્યનિકી અને વનિકી યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રાજેશ્વર સિંહ ચંદેલ, એલિસન એમ. લૉન્કોટો, હિમાચલ પ્રદેશ સરકારના સચિવ (બાગાયત) ડૉ. સી. પૉલરસુ, ઇન્ડિયન ઇકોલોજિકલ સોસાયટી, હિમાચલ પ્રદેશ ચેપ્ટરના અધ્યક્ષ ડૉ. પ્રદીપ કુમાર અને ફ્રાંસ, સર્બિયા, બ્રિટન, મોરીશિયસ, નેપાળ વગેરે દેશોના કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. યશવંત સિંહ પરમાર ઔદ્યનિકી અને વનિકી યુનિવર્સિટી, નૌની, સોલન, હિમાચલ પ્રદેશ દ્વારા ફ્રેન્ચ નેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર એગ્રિકલ્ચર, ફૂડ એન્ડ એન્વાયરમેન્ટ, ફ્રાંસ અને ઈન્ડિયન ઇકોલોજિકલ સોસાયટીના હિમાચલ પ્રદેશ ચેપ્ટરના સહયોગથી આજે હિમાચલ પ્રદેશમાં ‘સ્થાયી ખાદ્ય પ્રણાલીઓને સક્ષમ બનાવવા માટે પ્રાકૃતિક ખેતી’ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું હતું.
યૂરિયા અને રસાયણિક ખાતરે બીમાર બનાવી દીધી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી પર યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી શુદ્ધ વિજ્ઞાન છે. પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. જેટલા વધારે સૂક્ષ્મ જીવાણુઓ અને અળસીયા વધશે, તેટલો જ ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે. આચાર્ય દેવવ્રતજીએ સૌને વિનંતી કરી કે પ્રાકૃતિક ખેતી અપનાવો, જેથી આપણી ધરતી અને આપણી જિંદગી બચી શકે. યૂરિયા અને રસાયણિક ખાતરે આપણી ધરતીને બીમાર બનાવી દીધી છે. તેને પુનઃ ફળદ્રુપ કરવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે.
1960ના દાયકામાં અનાજના અભાવનો સામનો કર્યો
આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ભારતના એ કૃષિ વૈજ્ઞાનિકોનો આભાર માનું છું, જેમણે 1960ના દાયકામાં, જ્યારે ભારત અનાજના અભાવનો સામનો કરી રહ્યું હતું, વિદેશમાંથી અનાજ આયાત કરવું પડતું હતું અને લોકોને પેટ ભરવું મુશ્કેલ હતું, તે સમયે હરિત ક્રાંતિની શરૂઆત કરી અને આપણે, ભારતના લોકો અનાજની દ્રષ્ટિએ આત્મનિર્ભર બની શક્યા. પરંતુ, અઆપણે વિચાર્યા વિના, રસાયણિક ખાતર અને કીટનાશકોનો અંધાધૂંધ ઉપયોગ કર્યો. આ દિશામાં ઝડપ એટલી વધી ગઈ કે તેનું ખરાબ પરિણામ હવે આપણી સામે આવવા માંડ્યું છે.
તેમણે કહ્યું કે, આજની સૌથી મોટી સમસ્યા વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ છે, ગ્લોબલ વોર્મિંગ આખા વિશ્વ માટે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. તેમાં આપણા નિર્ણયો કેટલા ટકાઉ હશે? આપણું પશુધન કેવી રીતે જીવિત રહી શકશે? માનવજાતનું ભવિષ્ય શું હશે? વૈશ્વિક તાપમાન વધવાના અનેક કારણો છે, પરંતુ રસાયણિક ખેતીનો પણ તેમાં મોટો ફાળો છે. જ્યારે યૂરિયા અને ડીએપી ખેતરોમાં છાંટવામાં આવે છે, તો તેમાં રહેલું નાઈટ્રોજન ઓક્સિજન સાથે સંપર્કમાં આવે છે, તો નાઈટ્રસ ઓક્સાઈડ નામનો ગેસ ઉત્પન્ન થાય છે, જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 312 ગણો વધુ ખતરનાક છે.
ગોબરથી મિથેન ગેસ ઉત્પન્ન થાય
તેમણે કહ્યું કે, જેને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ – જૈવિક ખેતી કહીએ છીએ અને જેનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, તેમાં ગોબરના ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. ગોબરથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે, જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 22 ગણો વધુ ખતરનાક છે. મેં પોતે મારા ખેતરમાં 5 એકરમાં 3 વર્ષ સુધી જૈવિક ખેતી કરી, પરંતુ તેમાં મહેનત પણ વધુ લાગી, ખર્ચ પણ વધુ થયો, અને ઉત્પાદન પણ પૂરતું નહીં મળ્યું.
પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મ જીવાણુઓની ખેતી
પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીમાં જમીન-આસમાનનો ફરક છે. આ વાતને વિગતવાર સમજાવતાંઆચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, બંને એકબીજાથી વિપરીત છે. પ્રાકૃતિક ખેતીથી ધરતીનો ઓર્ગેનિક કાર્બન, જૈવિક ખેતીની તુલનામાં અનેક ગણો વધારે ઝડપથી વધે છે. પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. જેટલા વધારે સૂક્ષ્મ જીવાણુઓ અને અળસીયા વધશે, તેટલો જ ઓર્ગેનિક કાર્બન વધશે. આ બધા સૂક્ષ્મ જીવાણુઓ અને મિત્ર જીવો, ધરતીના ઓર્ગેનિક કાર્બનને વધારવાનું કામ કરે છે. બીજી બાજુ, રસાયણિક ખેતી આ બધા સૂક્ષ્મ જીવાણુઓ અને મિત્ર જીવોને નષ્ટ કરવાની કામગીરી કરે છે.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગુજરાતમાં આ સમયે 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હિમાચલમાં પણ 1,70,000 કરતાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે.
જંગલના છોડમાં કોઈ પણ પોષક તત્વની અછત હોતી નથી
જંગલોમાં કોણ યૂરિયા કે ડીએપી નાખે છે? કોણ ગોબરનું ખાતર નાખે છે? પાણી કોણ આપે છે? કોઈ નહીં. છતાંય, જંગલના છોડમાં કોઈ પણ પોષક તત્વની અછત નથી થતી. કુદરત જંગલમાં જે કામ કરે છે, તે જ આપણા ખેતરમાં પણ કરે તે જ પ્રાકૃતિક ખેતી.
આપણે કહીએ છીએ, “માતા ભૂમિ: પુત્રોઽહં પૃથિવ્યા:” – શાસ્ત્રોમાં લખેલું છે કે, ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્ર છીએ. પરંતુ, આપણે કેવા પુત્ર છીએ, જે પોતાની માતાને ઝેર પીવડાવી રહ્યા છે, અંધાધૂંધ ઝેર પીવડાવી રહ્યા છે.