વહીવટી તંત્ર દ્વારા હાલ મંદિરે દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યાં છે, અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સહિત ભારતનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જાલોર જિલ્લાના ભીનમાલમાં ઉંચી ટેકરી પર આવેલા સુંધા માતાજીના મંદિર આસપાસ પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સુંધામાતા મંદિરનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ડુંગર પરથી નદીની જેમ પાણી વહી રહ્યું છે. કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
રાજસ્થાનના જાલોરમાં સુંધા માતા મંદિર પરિસરમાં શનિવાર સવારથી ભારે વરસાદ ચાલુ છે. પર્વત પરથી વહેતા ધોધનાં જોરદાર પ્રવાહમાં 5 પ્રવાસીઓ તણાઈ જતાં તંત્રની ચિંતા વધી ગઈ હતી. આ સિવાય મંદિરે દર્શન કરવા આવેલી ડુંગરપુરની એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ પર્યટકને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે શનિવારે મોટી સંખ્યામાં સુંધા માતાના મંદિરે શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા. સુંધા માતાના દર્શને આવેલા પર્યટકોમાં ચાર લોકો ભારે વરસાદને કારણે પર્વત પર ફસાયા છે. જ્યારે મંદિરના પગથિયા પર પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા લોકોને સલામત સ્થળે લઈ જવાની કામગીરી ચાલી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસીઓ તણાયા હતાં તથા માતાના દર્શને આવેલી એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. હાલમાં દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યાં છે. જાલોર જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યાં છે.