વાયનાડમાં ભૂસ્ખલનનાં 5 દિવસ પછી ગુફામાં ફસાયેલા 4 આદિવાસી બાળકોને બચાવાયાં

બાળકોને શરીર સાથે કપડાથી બાંધીને પહાડ પરથી નીચે ઉતાર્યા, બાળકો હવે સુરક્ષિત છે

એક કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત કેરેલાના વયનાડમાં સાર્થક થઇ છે. કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનના 4 દિવસ બાદ(શુક્રવારે) વન અધિકારીઓએ 4 બાળકો સહિત 6 લોકોને બચાવ્યાં છે. 8 કલાકના રેસ્ક્યૂ ઓપરેશનમાં જે બાળકોને બચાવ્યા છે તેમની ઉંમર એકથી ચાર વર્ષની છે. પનિયા સમાજનો આ આદિવાસી પરિવાર પહાડીની ટોચ પર એક ગુફામાં ફસાઈ ગયો હતો.

પીટીઆઈ સાથે વાત કરતા, કાલપેટ્ટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે. હાશિસે કહ્યું – અમે ગુરુવારે માતા અને 4 વર્ષના બાળકને જંગલ વિસ્તારની નજીક જોયાં હતા. તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે તેનાં વધુ 3 બાળકો અને તેમના પિતા પહાડી પરની ગુફામાં ખોરાક વિના ફસાયેલા છે. ત્યાર બાદ અમે 4 લોકોની રેસ્ક્યૂ ટીમ બનાવી ભારે વરસાદ અને લપસણા-ઢાળવાળા ખડકોમાંથી 8 કલાકના પ્રયત્નો પછી તેમને બચાવી લીધા છે.

વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, જ્યારે અમે ગુફા પાસે પહોંચ્યા તો ત્યાં ત્રણ બાળકો અને એક વ્યક્તિ બેઠી હતી. અમે તેમને અમારી પાસે બોલાવ્યાં પરંતુ તેઓ આગળ આવતાં ન હતાં. ઘણું સમજાવ્યા પછી તેના પિતા અમારી સાથે આવવા સંમત થયા. અમે બાળકોને અમારા શરીર સાથે બાંધી દીધા અને પછી નીચે ઊતરીને તેમને બચાવી લીધા. લપસણા પથ્થરો પર ચઢવા માટે ઝાડ સાથે દોરડા બાંધીને આ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું

વધુ માહિતી આપતા કે. હાશિસે કહ્યું કે, પાણિયા સમુદાયના આ લોકો બહારના લોકો સાથે વાત કરવાનું ટાળે છે. તેઓ સામાન્ય રીતે વન ઉત્પાદનો પર આધાર રાખે છે અને સ્થાનિક બજારમાં વેચીને ચોખા ખરીદે છે. જોકે એવું લાગે છે કે ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તેઓ ઘણા દિવસોથી ભૂખ્યા હતા. જ્યારે તેઓ અમારી પાસે આવ્યા ત્યારે અમે જોયું કે બાળકો ખૂબ થાકેલા હતા. અમે અમારી સાથે જે પણ ખાદ્યપદાર્થો લીધા હતા એ પહેલા અમે તેમને ખવડાવ્યા. તેને પાણી આપ્યું, તેની પીઠ પર બાંધીને પહાડ પરથી નીચે ઉતાર્યા.

તેઓ અટ્ટમાલામાં તેમની સ્થાનિક ઑફિસમાં પાછા ફર્યા, જ્યાં બાળકોને ખવડાવવામાં આવ્યા અને કપડાં અને શૂઝ આપવામાં આવ્યા. તેમણે કહ્યું કે હાલમાં તેમને ત્યાં રાખવામાં આવ્યા છે અને બાળકો હવે સુરક્ષિત છે. કેરળના સીએમ પિનરાઈ વિજયને સોશિયલ મીડિયા પર લીધો અને વન અધિકારીઓના પડકારજનક પ્રયાસોની પ્રશંસા કરવા માટે તસવીરો શેર કરી.

કેરળના મુખ્યમંત્રી પી. વિજયને શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની માહિતી આપી હતી. તેમણે લખ્યું- ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડમાં, અમારા હિંમતવાન વન અધિકારીઓએ 8 કલાકના પ્રયાસો પછી આંતરિક વિસ્તારોમાંથી 6 લોકોના જીવ બચાવ્યા. વન અધિકારીઓની આ ભાવના આપણને યાદ અપાવે છે કે કટોકટીના સમયમાં પણ કેરળનું જોમ ચમકતું રહે છે. અમે એક થઈને ફરીથી નિર્માણ કરીશું અને મજબૂત બનીશું.”

હશિશ સાથે, વિભાગ વન અધિકારી, બીએસ જયચંદ્રન, બીટ ફોરેસ્ટ ઓફિસર, કે અનિલ કુમાર અને આરઆરટી (રેપિડ રિસ્પોન્સ ટીમ) સભ્ય અનુપ થોમસે પરિવારને બચાવવા માટે સાત કિલોમીટરથી વધુની મુસાફરી કરી. વરસાદ વધુ તીવ્ર થતાં, વન વિભાગે વાયનાડમાં આદિવાસી સમુદાયના મોટાભાગના સભ્યોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી જંગલની અંદર રહેતો હતો.

વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 341 પર પહોંચી ગયો છે. આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેમાંથી 146 મૃતદેહની ઓળખ કરવામાં આવી છે, જ્યારે 134 લોકોના મૃતદેહના ટુકડા જ મળ્યા છે, જયારે 200 લોકો લાપતા છે.

ઉલ્લેખનિય છે કે, સેનાએ 1 ઓગસ્ટના રોજ મુંડક્કઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામમાં બચાવ અભિયાન સમાપ્ત થવાની માહિતી આપી હતી. હવે માત્ર કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધવાનું કામ ચાલી રહ્યું છે.