રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર કાળી શાહી લગાવી વિરોધ કર્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે (પહેલી જુલાઈ) લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિન્દુ ધર્મ પર આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. ત્યારે મંગળવારે (બીજી જુલાઈ) અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા છે.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં 20થી 25 લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. આ સાથે ટોળા દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી. જેને લઇને ફરી એકવાર આજે સાંજે ભાજપ અને કોંગ્રેસના કાર્યકારો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારા દરમિયાન પોલીસ મૂકપ્રેક્ષક બની ચૂપચાપ બેસી રહી હતી. આ પથ્થરમારામાં એક પોલીસકર્મીને પણ ઇજા પહોંચી હતી. ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર અનેક કાર્યકારોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ ભાગલા પડવાની નીતિને ખુલ્લી પાડી છે અને સાચો હિંદુ કોઈને ડરાવતા કે ધમકાવતા નથી. પરંતુ ભાજપના લોકો હિંસા ફેલાવે છે, સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાહુલ ગાંધીના લોકસભાના ભાષણનો અમુક જ ભાગ બતાવી રહ્યા છે અને ડરી જઈને કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો છે.’
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીના નિવેદનનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ગઈ કાલે રાહુલ ગાંધીએ નિવેદન આપતા જ ભાજપે તેમનો વિરોધ શરૂ કરી દીધો હતો. સંસદની અંદર અને બહાર વિરોધ પ્રદર્શનો થયા. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી સમગ્ર હિંદુ સમાજને હિંસક બનાવી રહ્યા છે તે ગંભીર બાબત છે.’ જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘X’ પર લખ્યું, ‘રાહુલ ગાંધીએ કરોડો હિંદુઓનું અપમાન કર્યું છે કે હિંદુઓ હિંસા કરે છે, જુઠ્ઠું બોલે છે અને નફરત ફેલાવે છે. તેમણે આ માટે માફી માંગવી જોઈએ.’