અમદાવાદમાં રવિવાર, ૭ જુલાઈએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઇને જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથજીની રથયાત્રાના રુટ પર હેલિકોપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ કર્યું છે. રથયાત્રાના દિવસે પણ રથયાત્રાના રુટ પર હેલિકોપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ થવાનું છે તેનું આજે રિહર્સલ કરવામાં આવ્યું છે. રથયાત્રાના દિવસે સંવેદનશીલ વિસ્તારમાં સર્વેલન્સ કરવામાં આવશે.
અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ પણ રથયાત્રાને લઈને સજ્જ થઈ ગઈ છે. આજે સવારે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્રારા રથયાત્રાનાં રૂટ પર એર સર્વલન્સ કરવામાં આવ્યું હતુ. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. રથયાત્રાના દિવસે શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે. સાથે સાથે ટેથર્ડ ડ્રોન, નિનઝા ડ્રોન, હિલિયમ બ્લુન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી સર્વેલન્સ થશે.
રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે.

આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઈઝરાયેલી ટેક્નોલોજીનું હિલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં સર્વેલન્સ માટે વપરાશે. આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવીને એક્ટિવ કરાશે, જે પાંચ કિલોમીટર વિસ્તારને કવર કરશે. જે તે વિસ્તારની તમામ ગતિવિધિને રેકોર્ડ કરી લેશે. જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રહેશે.
અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG એ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
રથયાત્રાને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથના દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, અમદાવાદ પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને રથયાત્રાની તૈયારીઓની માહિતી મેળવી હતી.અમદાવાદના જમાલપુરમાં ભગવાન જગન્નાથ મંદિરે પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ‘રથયાત્રા એ અમદાવાદનું ગૌરવ અને ઓળખ છે.