માનહાનીના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ નામ આપ્યું
જો હું ભાજપમાં સામેલ નહીં થઉ તો ઈડી એક મહિનાની અંદર મારી ધરપકડ કરશેઃ આતિષી
કેજરીવાલ સરકારમાં મંત્રી આતિશીની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે માનહાનિ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશીને સમન્સ મોકલ્યું છે. રાઉઝ એવન્યુ કોર્ટે માનહાનિ કેસની સુનાવણી દરમિયાન આતિશીને સમન્સ પાઠવ્યું છે. આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દિલ્હી ભાજપના મીડિયા પ્રમુખ પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરાયેલા માનહાનીના કેસમાં દિલ્હીના મંત્રી અને આપ નેતા આતિશી માર્લેનાને સમન્સ પાઠવ્યું છે. આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવાનો આદેશ અપાયો છે. આતિશીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને લાંચ આપવાનો અને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. આ આક્ષેપ બાદ દિલ્હી ભાજપના મીડિયા પ્રમુખે તેમના વિરુદ્ધ કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો. માનહાનીના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ નામ આપ્યું હતું. ભાજપ નેતાએ દાવો કર્યો કે, આવા આક્ષેપોના કારણે અમારી પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
રાઉઝ એવેન્યુ સ્થિત એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાન્યા બામનિયાલે દિલ્હી બીજેપી મીડિયા પ્રમુખ પ્રવીણ શંકર કપૂરના માનહાનિનો કેસને સ્વીકારી લીધો છે. આ પછી તેમણે આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જાહેર કર્યું છે. વીણ શંકર કપૂરે હોર્સ ટ્રેડિંગના આરોપમાં આતિશી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
ભાજપના મીડિયા પ્રમુખ પ્રવીણ શંકર કપૂર દ્વારા 30 એપ્રિલે દાખલ કરેલા માનહાનીના કેસમાં આક્ષેપ કરાયો હતો કે, આપ નેતા પોતાના ખોટા દાવા સાબિત કરવા માટે કોઈપણ પુરાવા આપી શક્યા નથી. અરજીમાં કેજરીવાલના એક સોશિયલ મીડિયા પોસ્ટનો પણ ઉલ્લેખ કરાયો છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપે સાત આપ ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને પક્ષ પલટો કરવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.
અરજીમાં આતિશીના દાવાનો ઉલ્લેખ કરી જણાવાયું છે કે, તેમણે પોતાની રાજકીય કેરીયરને બચાવવા માટે ભાજપમાં સામેલ થવાનો પ્રસ્તાવ મળ્યો હતો. આ ઉપરાંત આતિશી દ્વારા કહેવાયું હતું કે, જો તેઓ ભાજપમાં સામેલ નહીં થાય તો ઈડી દ્વારા તેમની ધરપકડ કરાશે.
આતિશીએ એપ્રિલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે, ‘ભાજપે પોતાના નજીકના વ્યક્તિ દ્વારા મારો સંપર્ક કર્યો છે. તેમણે મને ભાજપમાં જોડાવા કહ્યું છે અને એમ પણ કહ્યું કે, આમ કરવાથી મારું રાજકીય કેરિયર બચી જશે. તેમણે ધમકી આપી છે કે, જો હું ભાજપમાં સામેલ નહીં થાય તો ઈડી એક મહિનાની અંદર મારી ધરપકડ કરશે.’
આતિશીની મુશ્કેલીઓ એવા સમયે વધી છે જ્યારે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે, પરંતુ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ જામીન પર બહાર છે. સત્યેન્દ્ર જૈન અપ્રમાણસર સંપત્તિના કેસમાં જેલના સળિયા પાછળ છે.