ATS દ્વારા ખુલાસોઃ ઝડપાયેલ આતંકવાદીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા અને ભારતમાં આતંકી હુમલો કરવા તૈયાર હતા

ATS-press-conference

ઝડપાયેલ ચારેય આતંકવાદીઓ પાકિસ્તાની હેન્ડલર અબુનાં કહેવાથી અમદાવાદ આવ્યા
ભારતમાં આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનથી અબુએ તેમને રૂ. 4,00,000/- શ્રીલંકન કરન્સી આપી હતી

ગુજરાત ATS દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISISના ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત એટીએસે ઝડપાયેલા આતંકવાદીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી કેટલાક ચોંકાવનરા ખુલાસા કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, ઝડપાયેલ ચાર શખ્સો મહોમ્મદ નુશરત, મહોમ્મદ ગુફરાન, મહોમ્મદ ફારિશ અને મહોમ્મદ રશ્દી મૂળ શ્રીલંકાના વતની છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISISના સક્રિય સભ્યો છે. તેઓ પાકિસ્તાની હેન્ડલરના ટચમાં હતા. પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી જ તઓ અમદાવાદ આવ્યા હતા. ભારતમાં આતંકી હુમલો કરવા તેમને 4 લાખ શ્રીલંકન કરન્સી આપવામાં આવી હતી. તેઓ સ્યૂસાઇડ બોમ્બર બનવા માટે પણ તૈયાર હતા.

https://x.com/ANI/status/1792513080095859076

ગુજરાત ATSના DySP હર્ષ ઉપાધ્યાયને 18 મે, 2024ના રોજ બાતમી મળી હતી કે, ચાર વ્યક્તિ જે શ્રીલંકાના નાગરિકો અને રહેવાસી છે. તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઇસ્લામિક સ્ટેટ’ (ISIS)ના સક્રિય સભ્યો છે. તેમણે ભારતમાં કોઈ સ્થળે આતંકવાદી કૃત્યને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું છે અને આતંકવાદી કૃત્યને અંજામ આપવા તેઓ 18 કે 19 મેના રોજ ફ્લાઈટ અથવા ટ્રેન મારફતે અમદાવાદ આવવાના છે. આ બાતમીના આધારે ગુજરાત ATSની ટીમ દ્વારા ફ્લાઈટ્સ અને ટ્રેન બુકિંગ મેનિફેસ્ટો અંગેની માહિતી મેળવી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ચારે શ્રીલંકન નાગરિકોની ટિકિટ એક જ PNR પર બુક કરવામાં આવી છે અને તેઓ કોલંબોથી અમદાવાદ વાયા ચેન્નાઈની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી છે. તેઓના બોર્ડિંગનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર ATSની ટીમ બનાવી વોચ રાખવામાં આવી હતી.

https://x.com/ANI/status/1792504443382210829

આ ચારેય આતંકીઓ 19મીએ સવારે ચેન્નાઈ પહોંચ્યા અને સાંજે 8 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ બહાર આવ્યા ત્યારે ATSની ટીમે ડિટેઇન કર્યા હતા. એરપોર્ટ પર તેમને ઇંગ્લિશમાં નામ પૂછતાં નુસરત, ફારીસ, નફરન, રસદીન હોવાનું જણાવ્યું હતું. આ ચારેય આતંકવાદીઓ હિન્દી અને અંગ્રેજી બરોબર જાણતા નથી. તેમને તમિલ ભાષા આવડે છે. તેમની પાસેથી બે મોબાઈલ અને ભારત અને શ્રીલંકાના પાસપોર્ટ મળી આવ્યા હતા. એક ISISનો ફ્લેગ પણ મળી આવ્યો હતો.

મોહમ્મદ નુસરથ પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોનમાંથી તેઓએ પ્રતિબંધિત આતંકી સંગઠન ઈસ્લમિક સ્ટેટ (IS) સાથે જોડાવવા હીજરા કરવા, અબુ બકર બગદાદી દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા તથા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ તથા BJP અને RSSના સભ્યોને પાઠ ભણાવવા તેમજ મુસ્લિમ સમુદાય પર થતા અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવા માટે તત્પર હોવાના પુરાવા મળી આવ્યા છે.

આતંકીઓ તમિલ ભાષા બોલતા હોવાથી તેમના મનસૂબા જાણવા દુભાષીયાની મદદ લેવામાં આવી છે. દુભાષીયા મારફતે ચારેયની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઈસ્લામિક સ્ટેટ’ (IS)ના સક્રિય સભ્યો છે અને અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે, તેમજ તેઓનો હેન્ડલર અબુ પાકિસ્તાની છે. ISના હેન્ડલર પાકિસ્તાની અબુએ તેઓને જણાવેલ હતુ કે તે હથિયારોના ફોટા તથા તે હથિયારો જે જગ્યાએ છુપાવેલ છે તે જગ્યાના ફોટા તથા તેનુ લોકેશન પ્રોટોન ડ્રાઇવ તથા પ્રોટોન મેઇલ ઉપર શેર કરશે અને તે જગ્યાએ જઇ હથિયારો મેળવી લેશો અને ત્યાર બાદ આ હથિયારોનો ઉપયોગ કઈ જગ્યાએ અને કયા ટાર્ગેટ ઉપર કરવાનો છે તેની જાણ કરવામા આવશે.

આ આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોટોન ડ્રાઈવમાં 05 ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. જે ફોટોગ્રાફ્સ 1. પાણીની કેનાલ, 2. મોટા પત્થરોની નીચે બખોલમાં ગુલાબી કલરના પાર્સલમાં રાખેલ કોઇ વસ્તુ, 3. બ્રાઉન સેલોટેપ વીંટાળેલ ગુલાબી કલરનું પાર્સલ, 4. ઝંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ અને આજુ બાજુમાં ગોઠવેલ ત્રણ પિસ્ટલ આકારના પાર્સલ તેમજ 5. ત્રણ પિસ્ટલ તથા ત્રણ લોડેડ મેગઝીનના હોવાનું જણાઈ આવ્યું છે. નાના ચિલોડા પાસે હથિયાર રાખ્યા હતા. તે હથિયાર ત્યાં જઈને ફોટો મુજબ મળી આવ્યા હતા.

આ આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રોટોન મેલમાં એક સેલ્ફ ઈ-મેઈલ મળી આવ્યો છે, જેમાં કોઈ જગ્યાના Geo Co-ordinates લખેલ હતા. ATની એક ટીમ દ્વારા આ Geo Co-ordinates ખાતે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું, જે સર્ચ દરમ્યાન એક ગુલાબી કલરના પાર્સલમાંથી 3 પીસ્ટલ અને 1 કાળા કલરનો ફ્લેગ મળી આવી છે. ત્રણેય પીસ્ટલ ઉપર સ્ટારનું ચિહ્ન છે અને બેક ટ્રેકીંગ થઈ ન શકે એ હેતુથી રીકવર કરવામાં આવેલી ત્રણેય પીસ્ટલ ઉપરથી સીરીયલ નંબર ઈરાદાપૂર્વક ભૂંસી નાંખ્યો છે.

આ ત્રણ પૈકી 2 પીસ્ટલમાં એટેચ કરેલ મેગ્ઝીનમાં 7- 7 રાઉન્ડ્સ તથા 1 પીસ્ટલમાં એટેચ કરેલ મેગ્ઝીનમાં 6 રાઉન્ડ્સ એમ કુલ 20 રાઉન્ડ્સ રીકવર કરવામાં આવી છે, જે તમામ રાઉન્ડ્સ ઉપર FATA લખેલું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ 3 પીસ્ટલ Norinco Type54 મોડલની હોવાનું તથા એમ્યુનેશન પાકિસ્તાનના ભૂતપૂર્વ Federally Administered Tribal Areas (FATA)માં બનાવેલ હોવાનું જણાય છે. સર્ચ દરમ્યાન મળી આવેલ બ્લેક ફ્લેગ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) નો હોવાનું જણાઈ આવ્યું છે.

આતંકવાદીઓના મોબાઇલ ફોનમાંથી મળી આવેલા પુરાવા તથા ઉપરોક્ત હથિયારો બાબતે પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અગાઉ શ્રીલંકન રેડીકલ મીલીટન્ટ આઉટફીટ નેશનલ તૌહીથ જમાત (NTJ)ના સભ્યો હતા, જેને શ્રીલંકન સરકાર દ્વારા ઈસ્ટર બોમ્બીંગ બાદ એપ્રીલ, 2019માં પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું છે.

મૂળ શ્રીલંકાના ચારેય લોકો ફેબ્રુઆરી 2024માં પાકિસ્તાનના અબુ સાથે સંપર્કમાં આવ્યા હતા. તેની પ્રેરણાથી આતંકવાદી સંગઠન IS માં સભ્ય બન્યા હતા અને તે માટે તેઓએ શપથ લીધી હતી. તેના કહેવાથી જ આરોપીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા અને જેહાદની રાહમાં શહીદ થવાની તૈયારી દર્શાવી હતી. ભારતમાં કોઇ જગ્યાએ આતંકવાદી હુમલાને અંજામ આપવાના હતા. આ કામ માટે પાકિસ્તાનથી 4 લાખ શ્રીલંકન કરન્સી ટ્રાન્સફર કરવામાં આવી હતી.