કાલુપુર રેલવે સ્ટેશનની રિ-ડેવલપમેન્ટની કામગીરી પુરજોશમાં, નવું હાઈબ્રિડ સ્ટેશન સૂર્યમંદિરની થીમ પર બનશે

New Ahmedabad-Railway-station

કાલુપુર રેલવે સ્ટેશનનું તબક્કાવાર ડિમોલિશન કરીને 2,350 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કામગીરી શરુ થઈ ગયું છે

ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન અને સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન કાલુપુર છે. પશ્ચિમ રેલ્વે વિભાગમાં મુંબઈ વિભાગ પછી તે સૌથી વધુ આવક ધરાવતો વિભાગ છે. એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટની કામગીરી પુરજોશમાં શરુ થઈ ગઈ છે.
જેમાં અમદાવાદના 161 વર્ષ જૂના કાલુપુર રેલવે સ્ટેશનની ત્રણ જ વર્ષમાં કાયાપલટ થશે. હાલમાં 40 વર્ષ પહેલાં તૈયાર કરાયેલા બિલ્ડિંગને તોડવાનું કામ ચાલી રહ્યું છે. અન્ય પ્લેટફોર્મ પર જતાં મુસાફરો ડાયરેક્ટ વોક-વે બ્રિજ પર જઇ શકે તે માટે ટેમ્પરરી બ્રિજ પર ડ્રોપની વ્યવસ્થા કરાઇ છે.

કાલુપુર રેલવે સ્ટેશનને મોઢેરાના સૂર્યમંદિરની થીમ પર એરપોર્ટ કરતાં પણ ખૂબ જ અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. કાલુપુરથી લઈ સારંગપુર સુધીના રસ્તાને જોડવામાં આવશે. ગુજરાતનો સૌથી મોટા રેલવે સ્ટેશન ગણાતા અમદાવાદ રેલવે સ્ટેશનની રિડેવલપમેન્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રૂપિયા 2,350 કરોડના ખર્ચે આ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાઇ રહી છે.
આ કામગીરી 36 માસમાં પૂર્ણ કરવામાં આવશે. જેને પગલે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પાસે હાલ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. 161 વર્ષ જૂના અમદાવાદ રેલવે સ્ટેશન પર 40 વર્ષથી પણ વધારે સમય પહેલાં તૈયાર થયેલા બિલ્ડીંગને તોડવાની હાલ કામ થઇ રહ્યું છે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે પણ વ્યવસ્થાઓ કરાઇ છે.

એન્ટ્રી ગેટથી એક ટેમ્પરરી બ્રિજ પણ તૈયાર કરાયો છે. જેને પગલે પ્લેટફોર્મ નં 2થી 9 પર જવા માટેના ડાયરેક્ટ વોક-વે બ્રિજને કનેક્ટ કરાયો છે. જેથી પ્લેટફોર્મ 1 પર મુસાફરોની ભીડને પણ ઓછી કરી શકાય. અમદાવાદ રેલવે સ્ટેશનના 9 પ્લેટફોર્મની સાથે 16 રેલવે ટ્રેક પણ છે જેથી ટ્રેનોની પણ અવરજવર વધારે જોવા મળતાં મુસાફરોની ભીડ પણ જોવા મળે છે. કાલુપુર ખાતેના અમદાવાદ રેલવે સ્ટેશન પર રિડેવલપમેન્ટની કામગીરી તબક્કાવાર કરવામાં આવશે.
તબક્કાવારની કામગીરીને પગલે મુસાફરોને અને ટ્રેનના સંચાલનમાં કોઇ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવી રહ્યેં છે. રેલવે સ્ટેશન પર આવેલ હેરિટેજ ઇમારતોને પણ નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખીને કામગીરી કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન તોડી પાડ્યા બાદ નવું બનાવવામાં આવશે.

જમીનથી 10 મીટર ઉપર કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજને જોડતો એક એલિવેટેડ રોડ નેટવર્ક બનાવાશે. વર્ષ 2024 અને 2060 ને ધ્યાને રાખીને પ્લાન બનાવ્યો છે. કાલુપુર અને સારંગપુરથી સીધા રેલવે સ્ટેશન પહોંચી શકાશે. 16 માળનું બિલ્ડિંગ બનાવાશે. જેમાં બે બેઝમેન્ટ બનશે. પહેલા છ માળ પર પાર્કીંગ બનશે. તેની ઉપર 4થી 5 માળમાં રેલવે ઓફિસ બનાવવામાં આવશે. જ્યારે તેની ઉપરના તમામ માળ મુસાફરો માટે યાત્રી સુવિધા માટે હશે. 10 મીટર ઉપર રહેલા કોન કોર્સથી બુલેટ ટ્રેન અને મેટ્રો સ્ટેશન સુધી પણ જઈ શકાશે. મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને રેલવે એમ ત્રણેય માટે લોકો પહોંચી શકાય તેવું આયોજન કરાયું છે.

જે આખું 35 એકર જમીનની જગ્યામાં બનવાનું છે. સ્ટેશન બન્યા બાદ પેસેન્જર માટે એરાઈવલ અને ડિપાર્ચર આખી અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવશે. જે જમીનથી 10 મીટર લેવલ ઉપર હશે.

ડેવલપમેન્ટની કામગીરીને પગલે ઘણી ટ્રેનોનું સંચાલન પણ સાબરમતી અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી કરવામાં આવી રહ્યું છે. દેશમાં ત્રણ રેલવે સ્ટેશનનોને ‘આઇકોનિક’ તરીકે વિકસીત કરવા માટે જાહેરાત કરાઇ હતી જેમાં દિલ્હી, મુંબઇની સાથે અમદાવાદ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે.