કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે શ્રીનગર-લેહ હાઈવે બંધ કરાયો

heavy-rain-and-snowfall-in-Kashmir

કાશ્મીર ઉપર ઘાટી ભાગમાં ભારે હિમવર્ષા તેમજ મેદાની વિસ્તારોમાં પણ ભારે વરસાદ જાવા મળ્યો

1 મે સુધી જમ્મુ અને શ્રીનગર હાઈવે પર મુસાફરી ટાળવા માટે અપીલ

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને થઈ રહ્યો છે. પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતઓ છે. વરસાદને કારણે નદીઓ અને નાળાઓના જળસ્તરમાં વધારો થયો છે. તેજ સમયે ઘાટીના ઉપરના ભાગમાં આજે ફરી બરફવર્ષા થઈ છે. સોનમર્ગમાં 3 ઈંચથી વધુ હિમવર્ષા થઈ છે, જેના કારણે શ્રીનગર-લેહ હાઈવેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝોજિલા, સાધના ટોપ, રાઝદાન પાસ, દાવર ગુરેઝ, તુલૈલ ગુરેઝ, માછિલ, કોંગદોરી, મુખ્ય ગુલમર્ગ, સિંથાન ટોપ અને મુગલ રોડ પર પણ હિમવર્ષા થઈ છે.

વાહનો બરફવર્ષામાં ફસયા

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ રવિવારે ઘણા ફસાયેલા મુસાફરોને બચાવ્યા અને તેમના વાહનો જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા-ગુરેઝ રોડ પર બરફવર્ષામાં ફસાઈ ગયા હતા, અધિકારીઓએ જણાવ્યું કે, તોફાનગ્રસ્ત રાઝદાન પાસ પર ફસાયેલા 35 વાહનો વિશે માહિતી મળતાની સાથે જ BRO કર્મચારીઓ એક્શનમાં આવી ગયા હતા. બીઆરઓ ટીમે તેમના વાહનોને સલામત સ્થળે લઈ જતા પહેલા મુસાફરો અને ડ્રાઈવરોની સલામતીની ખાતરી આપી હતી.

મુસાફરી ટાળવા અપીલ

હવામાન વિભાગે કાશ્મીરમાં આગામી કેટલાક દિવસો દરમિયાન વધુ વરસાદ અને ઊંચા વિસ્તારોમાં હળવા હિમવર્ષાની આગાહી કરી છે, જ્યાં ચાલુ વરસાદને કારણે રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારની મોડી બપોરથી બુધવારે સવાર સુધી વરસાદી માહોલ જારી રહેવાની શક્યતા છે. જો કે, સોમવારની સરખામણીએ તેની તીવ્રતા અને અસર ઓછી જોવા મળશે. એવી આશંકા છે કે કેટલાક સ્થળોએ અચાનક પૂર, તીવ્ર કરા, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. લોકોને 1 મે સુધી જમ્મુ-શ્રીનગર હાઈવે પર મુસાફરી ટાળવા માટે ઘણી અપીલ કરવામાં આવી છે.

મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

કાશ્મીરમાં સિંચાઈ અને પૂર નિયંત્રણ (I&FC) વિભાગે લોકોને ખાતરી આપી હતી કે હાલમાં કાશ્મીરમાં પૂરનો કોઈ તાત્કાલિક ખતરો નથી. વિભાગ સક્રિયપણે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કહ્યું કે આ સમયે ગભરાવાની જરૂર નથી. જેલમ નદી અને અન્ય જળાશયોમાં પાણીના સ્તરનું દર કલાકે મૂલ્યાંકન કરવામાં આવે છે. અધિકારીએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે.

સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર

શ્રીનગર પ્રશાસને જેલમ નદી અને તેની આસપાસ રહેતા લોકો અને પ્રવાસીઓ માટે એડવાઈઝરી બહાર પાડી છે. લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેણે ઈમરજન્સી દરમિયાન ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જારી કરાયેલા ફોન નંબર પર માહિતી આપવી જોઈએ. કુપવાડામાં ખરાબ હવામાન અને હિમસ્ખલનની ચેતવણીને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતી માટે સાવચેતીના પગલારૂપે જિલ્લાભરની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જો કે ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ ફરજ પર યથાવત રહેશે.

લેન્ડ સ્લાઈડથી પરિવારોને સુરક્ષિત જગ્યા પર ખસેડ્યા

રામબન-ગુલ રોડ પર સતત લેન્ડ સ્લાઇડ થઈ રહી છે. ઘણા કિલોમીટર જમીન ધસી ગયા બાદ રામબનથી 6 કિલોમીટર દૂર પરનોટ ગામમાં અત્યાર સુધીમાં 100થી વધુ મકાનોને નુકસાન થયું છે. લેન્ડ સ્લાઈડ બાદ સ્થાનિક પ્રશાસને ઘણા પરિવારોને સુરક્ષિત સ્થાનો પર ખસેડ્યા છે, પરંતુ આ વિસ્તારમાં વરસાદને કારણે સ્થિતિ ખતરનાક બની રહી છે. આ ઘટના બાદ આ વિસ્તારમાં વીજળીનો પુરવઠો ઠપ થઈ ગયો હતો અને 60 હજારથી વધુ લોકોનો મુખ્ય શહેર સાથે સંપર્ક તૂટી ગયો હતો. ઘરોમાં તિરાડો દેખાયા બાદ લોકોને બચાવીને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવી રહ્યા છે.

પાકને પણ નુકસાન

ગ્રામજનોના જણાવ્યા મુજબ જમીન ધસી જવાથી પાકને પણ નુકસાન થયું છે. આવી જ ઘટના ગત વર્ષે ફેબ્રુઆરીમાં પણ બની હતી. જમીન ધસી જવાને કારણે ગુલ અને રામબન વચ્ચેનો માર્ગ સંપર્ક તૂટી ગયો હતો અને 16 મકાનો ધરાશાયી થઈ ગયા હતા.

જમ્મુ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રોફેસરના જણાવ્યા અનુસાર, રામબન જિલ્લાના પરનોટ ગામમાં જમીન ધસી પડવા અને તિરાડો થવાનું કારણ ચેનાબ નદીમાં થઈ રહેલી ટેક્ટોનિક હિલચાલ હોઈ શકે છે, એટલે કે પૃથ્વીની સપાટી નીચે ઉથલપાથલ થઈ શકે છે.