રૂપાલાને તેમના સંસ્કાર બતાવવા પડશે, આ આંદોલન રાજકીય નથી, રૂપાલાની ટિકિટ રદ થાય તેવી મુખ્ય માંગઃ રમજુભા જાડેજા
પરષોત્તમ રુપાલા વિરુદ્ધ ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થશે.
પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દિકરીઓ પર કરેલી ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજનુ આંદોલન હવે વધી રહ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ અને કાર્યક્રમોને લઈ રાજપૂત સમાજની સંકલન સમિતિ બનાવવામાં આવી છે. ત્યારે હવે મધ્ય અને ઉત્તર ગુજરાત કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં 14 એપ્રીલ રવિવારે સાંજે રાજકોટમાં યોજાશે. રાજકોટમાં રતનપર રામજી મંદિર ખાતે મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તમામ સંસ્થાના હોદ્દેદારો સંતો, મહંતો અને લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડશે.
ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાને માફી નહીં પરંતુ ટિકિટ રદ કરવાની માંગણી સાથે જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, ધંધુકા સહિતના સ્થળોએ સંમેલન યોજ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ ઉમટી પડ્યા હતાં. આ સંમેલનમાં રુપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.
રાજપૂત સંકલન સમિતિના સભ્યો દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં 14 એપ્રિલના રોજ સાંજે 5થી 7 વાગ્યા સુધી ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહેશે. જામ સાહેબને પણ મળી આમંત્રણ આપીશું. રૂપાલાને તેમના સંસ્કાર બતાવવા પડશે.
રાજકોટ રતનપર રામજી મંદિર ખાતે સાંજે 5 વાગ્યે આ મહા સંમેલન બોલાવવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં પરષોત્તમ રૂપાલાના મુદ્દે આગળની રણનીતી ઘડવામાં આવશે તેમ જાણવા મળેલ છે. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજની જુદી-જુદી 92 સંસ્થાના હોદેદારો અને આગેવાનો ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ક્ષત્રિય યુવાનો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહેશે.
રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને બેનરો લગાવી રહ્યું છે. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકર કે નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવાં બેનર લગાવવામાં આવ્યાં છે. રાજ્યના વિવિધ ગામડાઓમાં પણ ભાજપના કોઈ કાર્યકર-નેતાને ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ ન આપવાના બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.