વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના: ૧૬૦ કરોડના ખર્ચે આણંદ સિવિલ હોસ્પિટલનું ભૂમિ પૂજન કરાશે: ઋષિકેશ પટેલ

Cabinet-Minister-Rushikesh-Patel

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૩-૨૪ સુધીમાં ૩૦૧૮ બાળકોનું વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ કરાયું

ધ્રોલ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરી સત્વરે કાર્યરત કરાશે

૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલ અને ૫૦ બેડની આયુર્વેદિક હોસ્પિટલ એક જ કૅમ્પસમા કાર્યરત બનશે

ગુજરાત પંદરમી વિધાનસભાનું ચોથું સત્ર ચાલી રહ્યું છે ત્યારે તારાંકિત પ્રશ્નોત્તરી દરમિયાન મનનીય આરોગ્ય, પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ‌ નિર્માણકાર્ય સંદર્ભે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતુું કે, આણંદના ગુજરાત પશુ ચિકિત્સાલય અને પશુપાલન મહાવિદ્યાલય યુનિવર્સીટી, આણંદ કેમ્પસમાં આવેલ ખુલ્લી જગ્યા પર બોરસદ ચોકડી ખાતે રુપિયા ૧૬૦.૫૯ કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવવાનું આયોજન કરાયું છે.

આ  સુવિધાયુક્ત હોસ્પિટલ બનાવવા મંજૂરી સમિતિએ તા.૨૫-૦૪- ૨૦૨૩ના રોજ મંજૂરી આપી હતી અને આણંદ સિવિલ હોસ્પિટલ નું ટૂંક સમયમાં ભૂમિ પૂજન કરવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું. આણંદ જીલ્લામાં જનરલ હોસ્પિટલ-આણંદ તથા પેટલાદ ખાતે એસ.એસ.જી હોસ્પિટલ કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું. આણંદ જિલ્લામાં ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૧૪ સામુહિક આરોગ્ય કેન્દ્રો પ્રજાની સેવામાં રાઉન્ડ ઘ કલોક કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.

વર્ષમાં ૩.૬૧ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસણી

અમદાવાદ જિલ્લામાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ એક વર્ષમાં ૩.૬૧ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસણી કરાઈ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ
વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા કોકલિયર ઈમ્પ્લાન્ટ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ‘ અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૩-૨૪ સુધીમાં ૩૦૧૮ બાળકોની વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૧,૧૨૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા ૬ વર્ષ સુધીના જન્મજાત બહેરાશની તકલીફ ધરાવતા બાળકોને વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી અને સર્જરી બાદ ૧૦૦ સ્પીચ થેરાપી સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવામાં આવે છે.

RBSK હેઠળ આરોગ્ય તપાસણી અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષ દરમિયાન ૩.૬૧ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. જે પૈકી ૧૭૪ બાળકોને હૃદય રોગ, ૭૫ બાળકોને કિડની રોગ અને ૪૮ બાળકોને કેન્સર રોગ મળી કુલ ૩૯૭ બાળકોને આ ગંભીર બીમારીઓની સારવાર આપવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, હૃદય, કિડની અને કેન્સર જેવા ગંભીર રોગો ધરાવતા બાળકોની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. હૃદયની બીમારીવાળા બાળકોને યુ.એન. મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર-અમદાવાદ ખાતે, કિડનીની બીમારી વાળા બાળકોને ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર-અમદાવાદ ખાતે તેમજ કેન્સરની બીમારી ધરાવતા બાળકોને એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ-અમદાવાદ ખાતે સારવાર આપવામાં આવે છે.

આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ ઘર આંગણે જ પ્રાપ્ત થાય તે હેતુસર સમયબદ્ધ આયોજન કરીને અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે.

આજે વિધાનસભા ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે સત્વરે કાર્યરત કરાશે. જામનગર જિલ્લામાં વસ્તીના ધોરણે ૦૨ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને દેવભૂમિ દ્વારકામાં ૦૧ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની જરૂરિયાત છે જેનું આયોજન કરાશે.

મંત્રીશ્રી પટેલે જામનગર અને દ્વારકા જિલ્લાની હોસ્પિટલોમાં છેલ્લા ત્રણ વર્ષમાં બહારના દર્દીઓ તરીકે, અંદરના દર્દી તરીકે સારવાર સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રસુતી સેવા, લેબ ટેસ્ટ, મેજર અને મધ્યમ ઓપરેશન કરવામાં આવે છે.