રાજકોટમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસનાં હસ્તે લોકાર્પણ કરાશે

rajkot-court

૬ જાન્યુઆરીના રોજ ચીફ જસ્ટીસ શ્રી ડી.વાય ચંદ્રચુડ લોકાર્પણ કરશે, રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં આગામી તા. ૦૬ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ડી.વાય ચંદ્રચુડના હસ્તે નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરાશે. આ પ્રસંગે રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિશ્રી અરવિંદ કુમાર, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિશ્રી સુનિતા અગ્રવાલ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ શ્રી એન. વી. અંજારીઆ, રાજકોટના એડમીનીસ્ટ્રેટીવ ન્યાયમુર્તિ શ્રી એ.જે.શાસ્ત્રી, ગુજરાત હાઈકોર્ટના અન્ય ન્યાયમુર્તિ તથા રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયધીશશ્રી આર.ટી.વાછાણી, કાયદા સચિવશ્રી પી.એમ.રાવલ તથા રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી બકુલ રાજાણી ઉપસ્થિત રહેશે.

રાજકોટ કોર્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને વકીલોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 56658 ચો.મી. બિલ્ડિંગમાં નિર્માણ પામેલા આ નવા ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગમાં 5 માળ છે જેને બનાવવા માટે રુપિયા 110 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ કોર્ટ બિલ્ડિંગમાં એક સાથે 52 જેટલી કોર્ટ બેસી શકશે.

જામનગર રોડ પર ઘંટેશ્વર ખાતે આ કોર્ટ બિલ્ડીંગમાં 52 કોર્ટરૂમની સુવિધા, ન્યાયાધીશ માટે લાઈબ્રેરી, વિડીયો કોન્ફરન્સ હોલ, વકીલો માટે બારરૂમ, સરકારી વકીલો માટે ચેમ્બરો, જજ માટે ચેમ્બરો, કોર્ટનાં સ્ટાફ તથા અરજદારો માટે કેન્ટીન, પાર્કીંગ તથા ન્યાયાધીશ માટે અલગથી પાર્કીંગ, લેડીઝ-જેન્ટસ ટોઈલેટ, સેન્ટ્રલ રેકર્ડ રૂમ તથા મુદ્દામાલ રૂમ અને સીસીટીવી સર્વેલન્સ સાથેની વિવિધ સવલતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ દિવ્યાંગો માટે ટોઈલેટ તથા રેમ્પ વગેરે સવલતોનું પણ વિશેષ આયોજન કરવામાં આવેલ છે. આ નવીન બિલ્ડીંગમાં અંદાજિત ૭૫૦ થી ૮૦૦ વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત રહી શકશે. હાલ ૩૯ કોર્ટો રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળે બેસીને ન્યાયિક કાર્ય કરે છે. આ નવું બિલ્ડિંગ બનવાથી 52 કોર્ટો એક જ સ્થળે બેસીને કાર્ય કરી શકશે, જેનાથી ન્યાયિક પ્રક્રિયાને વેગ મળશે.

રાજકોટમાં જે જૂની કોર્ટ છે તે શહેરના હોસ્પિટલ ચોક ખાતે છે. જ્યારે અહીં ગ્રામીણ કોર્ટ, ફેમિલી કોર્ટ, સેશન્સ કોર્ટ વગેરે હોસ્પિટલ ચોકના અલગ અલગ વિસ્તારમાં હતી. આ વિસ્તાર શહેરની મધ્યમાં આવતો હોવાથી અહીં આવવા જવા માટે વકીલોને ખૂબ મુશ્કેલીઓ પડતી હતી. તેમજ અહીં મર્યાદિત જગ્યા હોવાના કારણે વકીલોને બેસવા માટેની સમસ્યા હતી અને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં જવું હોય ત્યારે વકીલો માટે તે ઘટના ચેલેન્જ સાબિત થઈ હતી. એવામાં બસ હવે ટૂંક સમયમાં જ રાજકોટના નવી કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેને લઇને રાજકોટમાં અંદાજિત 4 હજાર જેટલા વકીલોને આ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.