21 વર્ષીય વિદ્યાર્થીને બ્લડ કેન્સર થતા સારવારમાં તમામ મૂડી ખર્ચાઈ ગયા બાદ વતન જવા માટે શારીરિક તેમજ આર્થિક સક્ષમ ન હતા
દર્દીના પરિવારજનોની વ્હારે આવ્યા આરોગ્ય મંત્રી, દર્દીને અમદાવાદથી તેલંગાણા એરલીફ્ટ કરવામાં કરી મદદ
ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક 21 વર્ષીય વિદ્યાર્થીને બ્લડ કેન્સર થયું હતું. વિદ્યાર્થીની ગાંધીનગરની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. દર્દી સાજો થઇ ગયો પરંતુ પરિવારની તમામ બચત તેમાં વપરાઈ ગઇ હતી. પરિવારે આરોગ્યમંત્રીનો સંપર્ક કરતા ઋષિકેશ પટેલે વિદ્યાર્થી અને તેના પરિવારને એરલીફ્ટ કરાવીને વતન તેલંગણા પહોંચાડ્યા હતા. તેમજ ત્યાંની હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાની વ્યવસ્થા કરી અને સાથે એક તબીબોની ટીમ પણ મોકલી હતી.

તેલંગાણાના 21 વર્ષના યુવકને બ્લડ કેન્સર હતું. એક દિવસ અચાનક અભ્યાસ દરમિયાન બેભાન થઇને ઢળી પડ્યો હતો. વિદ્યાર્થીને તાત્કાલિક ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ખબર પડી કે દર્દીને બ્રેઇનહેમરેજ છે તેમજ ઇન્ફેકશન છે. તબીબોએ વિવિધ રીપોર્ટ્સ કરાવ્યાં હતા. જેમાં જાણવા મળ્યું હતું કે , WBC કાઉન્ટ જે સામાન્ય પણએ 4 થી 11 હજાર હોય છે તે 4.5 લાખે પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં દર્દીનું બચવું મુશકેલ હતું. પરંતુ તબીબોએ અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરી કરીને દર્દીનો જીવ બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા.
આ સારવારમાં દર્દીના પરિવારજનોની તમામ નાણાકીય બચત ખર્ચાઇ ગઇ હતી. પરિવાર દર્દીને અમદાવાદથી પોતાના વતન તેલંગાણા લઇ જવા માટે પણ આર્થિક રીતે સક્ષણ રહ્યું ન હતું. હતાશ પરિવારને આઇ.સી.યુ. વોર્ડમાં જ દાખલ અન્ય એક દર્દીના સગાએ સલાહ આપી કે, રાજ્યના આરોગ્યમંત્રીને તમારી સમસ્યાની રજુઆત કરો. વધુ જાણકારી આપતા કહ્યું કે ગુજરાતના આરોગ્ય મંત્રી દર સોમવાર અને મંગળવાર સામાન્ય જનતાને મળે છે અને લોકોની રજુઆત સાંભળે છે.

ત્યારબાદ દર્દીનો પરિવાર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલયે પહોંચ્યો હતો અને આરોગ્યમંત્રીની સામે સ્થિતિની રજૂઆત કરી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ સમગ્ર સ્થિતિનો તાગ મેળવી દર્દીને મદદ કરવા સુચનાઓ આપી હતી. અન્ય ડિપાર્ટમેન્ટસ તેમજ કેન્દ્રીય મંત્રાલયના સહયોગથી આ દર્દીને એરલાઇન્સ મારફતે એરલિફ્ટ કરી તેલંગાણા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્દીની શારિરીક સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતના નિષ્ણાંત તબીબોની ટીમ, નર્સિંગ સ્ટાફ, કેયર ટેકર, અન્ય જરૂરી સપોર્ટીવ મેડિશીન સાથેની વ્યવસ્થા કરવી જરૂરી હતી. મંત્રીની સૂચના પ્રમાણે આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી.
દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા મોકલવાનું કામ આસાન તો ન જ હતું. તા. 3 જાન્યુઆરીની રાત્રે 12-15 કલાકે આ દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા પહોંચાડવામાં આવ્યો હતો. વહેલી સવારે 4-00 કલાકે તેલંગાણાની હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યાં સુધી ગુજરાતની સમગ્ર ટીમ અને ગુજરાતથી મોકલેલ તબીબો પણ દર્દી અને પરિવારજનોની સાથે જ રહ્યા હતા. તેમજ ત્યાંના તબીબોને પણ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ પણ કરાવ્યા હતા. હાલ આ દર્દી તબીબોની દેખરેખ હેઠળ છે.

દર્દી જ્યારે તેલગાંણા પહોંચી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઇ ગયો ત્યારે ફરી એક વખત મંત્રીએ આ દર્દીના સગા વ્હાલાઓને વીડિયો કોલ દ્વારા વાર્તાલાપ કરી દર્દી અને સમગ્ર પરિવારજનોની સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી. આ વાર્તાલાપ વેળાએ દર્દીના પરિવારજનો ભાવુક બની ગયા હતા અને તેઓએ ગુજરાત સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આમ ફરી એકવાર આ કેસમાં ગુજરાત સરકારની સંવેદનશીલતા જોવા મળી છે.
આમ આ કિસ્સા થકી રાજ્ય સરકાર અને આરોગ્યમંત્રીશ્રીએ દર્શાવ્યું કે આરોગ્ય-સેવા માટે ભૌતિક માળખાકિય સુવિધાઓ જેટલી જ અનિવાર્ય છે માનવીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા….