સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થવાનાં અવસરે તા. 16થી 22 નવેમ્બર દરમિયાન “શતામૃત મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું

sarangpurdham

એક સાથે 1 લાખથી વધુ લોકો જમી શકે એવું ભોજનાલય અને 30 હજારથી વધુ વાહન પાર્ક થઈ શકે એવું પાર્કિંગ ઊભું કરાયું
દર્શનાર્થીઓને રહેવા માટે 700 ટેન્ટ જેમાં 8400 ભક્તો આરામથી રહી શકશે તેમજ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું
સાંસ્કૃતિક પ્રદર્શનમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ, આર્ટ ગેલેરી ,સેલ્ફી ઝોન, ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શૉ તેમજ આનંદ મેળાનું આયોજન કરાયું
કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 15 થી 17 મિનિટનો લાઈટ એન્ડ સાઉન્ટ શો જેમાં એનિમેશન સાથે લેસર શો બતાવાશે

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપનાને 175 વર્ષ પૂર્ણ થતા હોવાથી સારંગપુર મંદિર દ્વારા સતામૃત મહોત્સવનું આયોજન 16થી 22 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંતો દ્વારા 1 હજારથી વધુ વીઘા જમીનમાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. અત્યારે શતામૃત મહોત્સવના ગ્રાઉન્ડમાં નિશુલ્ક ભોજનાલય, 108 યજ્ઞ કુંડ, પ્રદર્શન વાટિકા, ઉતારા, સભા મંડપ અને અખંડ ધૂન માટેનું કાર્ય 70%થી વધુ પૂર્ણ થઈ ગયું છે. આ માટે મહોત્સવ ગ્રાઉન્ડમાં દેશ-વિદેશના 15000 જેટલા સ્વયંસેવકો અથાગ સેવા કરી રહ્યા છે.

હનુમાનજી મંદિર અને મહોત્સવના 1 કિલોમીટરના રેડિયસમાં 250 વિઘામાં પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. જેમાં 30 હજારથી વધુ ફોર વ્હીલ અને ટુવ્હીલ પાર્ક કરી શકાશે. આ પાર્કિંગ મેઇન 5 મેઇન એન્ટ્રી ગેટ છે. જે બરવાળા, બોટાદ, લાઠીદળ, ગુંદા ગામ અને સાંચરિયા ગામ તરફથી આવતા લોકો માટે એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે. પાર્કિંગમાં 9 ચેકપોસ્ટ બનાવી છે. જેમાં VIP-VVIPના ત્રણ વિભાગ અને જનરલના 18 વિભાગ બનાવવામાં આવ્યા છે. 800 સ્વયંસેવકો દ્વારા પાર્કિંગની વ્યવસ્થા મેનેજ કરશે.

શતાબ્દી મહોત્સવમાં આવનાર ભક્તો માટે 10 વીઘાથી વધુ વિસ્તારમાં જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવ ગ્રાઉન્ડની નજીક દરરોજ એકસાથે 1 લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે એવું મહાકાય રસોડાની તૈયારી ફુલ સ્પીડમાં ચાલી રહી છે. અહીં એક લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તે માટે અલગ-અલગ વિભાગ ઉભા કરાયા છે. જેમાં VIP, VVIP અને જનરલ વિભાગ બનાવાયા છે. જેમાં 10,000થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહેશે. દર્શનાર્થીઓ માટે રસોડામાં જમવા માટેનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રહેશે. જે બાદ સાંજે 5:00 વાગ્યા થી રાતના 09:00 વાગ્યા સુધી ભોજન ગ્રહણ કરી શકશે. દર્શનાર્થીઓને નક્કી કરાયેલા મેનુ મુજબ બે મીઠાઈ, બે ફરસાણ, બે શાક, દાળ-ભાત, રોટલી, સલાડ અને છાશ પીરસવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન અંદાજે 40 લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

શતામૃત મહોત્સવમાં આવતા ભક્તો માટે 60 વીઘા જમીનમાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 1 ટેન્ટમાં 12 બેડ જેવા કુલ 700 ટેન્ટ બનાવાયા છે જેમાં 8400 ભક્તો આરામથી રહી શકશે. ગરમ પાણીની સુવિધા સાથે ટોઈલેટ-બાથરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય મંદિર પરિસરમાં આવેલા ઉતારા, અનેક ભક્તોના મકાનો, બોટાદ અને ટાટમ ગામના ગુરુકુળમાં પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવમાં 24 કલાક મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક દર્દીઓની તપાસ કરવામાં આવશે જેમાં 200થી વધુ ડોક્ટર 24 કલાક ખડેપગે રહેશે. તેના માટે10 હજાર સ્ક્વેર ફૂટમાં બે વિશાળ ડોમ ઊભા કરાયા છે. જેમાં 3 હાઇટેક ICU બેડરૂમ, 10 બેડરૂમ કન્સલ્ટિંગ અને 15 બેડ બ્લડ ડોનેશન માટે રાખવામાં આવશે. આમ એકસાથે 10 દર્દીની OPD અને 30 દર્દીને એક સાથે સારવાર આપી શકાશે.

શતામૃત મહોત્સવમાં શ્રીહનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શનનું 250થી વધુ સ્વયંસેવકો દ્વારા 45 વીઘામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 9 નવેમ્બર 2023થી 22 નવેમ્બર 2023 સુધી ચાલનારા આ પ્રદર્શનમાં પ્રવેશ કરવા માટે સવારે 10:00 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રદર્શનમાં પ્રવેશ કરતા જ ભક્તોને બંગાળી કારીગરો દ્વારા કલાકૃતિ કરીને બનાવાયેલ ભવ્ય પ્રવેશ દ્વારનું દર્શન થશે. ભક્તો મુખ્ય દ્વારથી અંદર આવશે ત્યારે તેમને સૌ પહેલા શ્રીકષ્ટભંજન દેવ વંદના સર્કલમાં 10 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન થશે. પ્રદર્શનના જુદા-જુદા વિભાગોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્ર સાથે દ્રશ્યમાન થતી લોક સંસ્કૃતિ, યુગો પુરાણી ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધાર સ્તંભ અને મંદિરોની ગાથા વર્ણવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ, નેચરલ ગુફાઓ, આર્ટ ગેલેરી અને સેલ્ફી ઝોન, ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, વિભિન્ન ફાઉન્ટેન અને તળાવ, નાના-નાના ભૂલકાઓ માટે ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 18 ડોમમાં જુદા-જુદા વિભાગો બનાવાયા છે. આ ઉપરાંત 2 ખાણી-પીણીની કેન્ટીન પણ બનાવવામાં આવી છે. જેમાં ખૂબ જ ઓછી કિંમતે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો ભક્તો આરોગી શકશે.

સાળંગપુરમાં જે 54 ફૂટની હનુમાનજી મહારાજની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે તેના પર હનુમાનજીના જીવન ચરિત્ર પર અલગ-અલગ એનિમેશન સાથે લેસર શો દ્વારા ઇફેક્ટ આપી આખો એક શૉ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાશે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં કરાશે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવશે. લાઇટ એન્ડ સાઉન્ડ શોનો સમય 15થી 17 મિનિટ સુધીનો સમય નક્કી કરાયો છે.

શ્રીકષ્ટભંજન દેવ સતામૃત મહોત્સવ અંતર્ગત દિવ્ય 108 કુંડી મારુતિ યજ્ઞ માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આશરે 15 વીઘા જમીનમાં યજ્ઞશાળા, યજમાનો માટે ભોજનાલય તથા અખંડ ધૂન માટેના વિભાગો બનાવવામાં આવી રહ્યા છે. 2100 યુગલ યજમાનો આ યજ્ઞનો દિવ્ય લાભ પ્રાપ્ત કરશે. 125 થી વધુ પવિત્ર બ્રાહ્મણો હનુમાનજી મહારાજના મહિમાથી ભરપૂર વૈદિક મંત્રોચ્ચારથી યજ્ઞ કરાવશે. મહોત્સવના સભા મંડપનું માટે 300 ફૂટ X 600 ફૂટના મહાકાય ડોમ બનાવવામાં આવ્યો છે. 90 ફૂટ X 30ફૂટનું ફુલ એરકન્ડિશનિંગવાળું સભા મંડપનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. 15,000થી વધુ ભક્તો આરામથી બેસી શકે એ માટે સભા મંડપની અંદર અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશ્વ શાંતિ માટે 140 ગામના અલગ અલગ મંડળો દ્વારા દિવ્ય અખંડ મહાધૂનનું આયોજન કરવામાં આવ્યુ છે. અખંડ મહાધૂનમાં 1. શ્રી રામધુન, 2. શ્રી સ્વામિનારાયણ ધૂન, 3. હનુમાન ચાલીસા અને સુંદરકાંડની ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર અલગ-અલગ ડોમમાં આ ધૂન થશે. દરેક ડોમમાં આશરે 150થી વધુ ભક્તો ધૂન કરશે. ધૂનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.