ખોડિયાર માતાજી અંગેના નિવેદન બાદ વિવાદ વધતાં બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીને ભાન થયું
મારો આશય કોઈની લાગણી દુભાવવાનો નહોતો કોઈને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માગું છુંઃ બ્રહ્મસ્વરૂપદાસ
સાળંગપુરમાં હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રોને લઈને થયેલો વિવાદ ઉકેલાયા બાદ સ્વામીનારાયણ સંતોએ હિન્દુ ધર્મના દેવી દેવતાઓ પર બેફામ પણે નિવેદનો આપતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા માંડ્યા હતાં. વડતાલ ગાદીના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દ્વારા થોડા સમય પહેલા ખોડિયાર માતાજી અંગે ટિપ્પણી કરવામાં આવતા વિવાદ વકર્યો હતો. ખોડલધામ, નાથ સંપ્રદાય સહિત અનેક સમાજની લાગણી દુભાઈ હતી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્વામીનો વીડિયો વાયુ વેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેઓ ખુદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. આ વિવાદ વધુ વકરે એ પહેલા બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા માફી માગવામાં આવી છે અને કહ્યું છેકે, મારો હેતુ કોઇની ધાર્મિક લાગણી દુભાવવાનો ન હતો. મારા શબ્દોથી કોઇને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.
બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ નિવેદન આપતાં કહ્યું હતું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નહોતો. તેમણે વીડિયોના માધ્યમથી કહ્યું હતું કે, શ્રી ખોડિયાર માતાજી અને એમાં આસ્થા ધરાવતા ધર્મપ્રેમી સજ્જન ભક્તો તથા ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ તથા ખોડિયાર માતાજીનાં મંદિરો, સંસ્થાઓ તથા તમામને વિનંતી સહ જણાવવાનુ કે મારો આશય કોઈની ધાર્મિક લાગણી ખંડન કરવાનો નહોતો છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું દિલગીરી સાથે હાથ જોડીને ક્ષમાયાચના ચાહું છું અને ફરી વખત આનું પુનરાવર્તન નહીં થાય એની ખાતરી આપું છું.
બ્રહ્મસ્વરૂપદાસના આ નિવેદન બાદ ચારેબાજુ રોષ ભભૂક્યો અને સંતો તથા ભક્તોએ તેમની સામે કાર્યવાહી કરવા સુધીની ચર્ચાઓ કરી હતી. સ્વામીના આ બફાટને લઈને ખોડલધામથી અવાજ ઊઠ્યો હતો અને ભવિષ્યમાં આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી ન કરવા સ્વામીને અપીલ કરવામાં આવી હતી.ખોડલધામના પ્રવક્તાએ તે સમયે જણાવ્યું હતું કે આ નિવેદનને કારણે માત્ર પાટીદાર નહીં, અન્ય અનેક સમાજની લાગણી દુભાઈ છે. ખોડલધામ દ્વારા આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી કરી માતા ખોડલના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં ન આવે અને ભવિષ્યમાં આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી ન કરવા કહેવામાં આવ્યું હતું.
બ્રહ્મસ્વરૂપદાસે ખોડિયાર માતાજી અંગે આપેલ નિવેદન :
બ્રહ્મસ્વરૂપદાસે અગાઉ નિવેદન આપ્યું હતું કે, ખોડિયાર માતાજીને કુળદેવી કહેવાની જરૂર નથી. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું.જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા. આ નિવેદન બાદ ભક્તો અને વિવિધ સમાજ રોષે ભરાયા છે. સ્વામીએ નિવેદન કર્યા બાદ પોતાને એક રૂમમાં બંધ કર્યા છે તેમજ ભક્તોને અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું કરીને રૂમમાં ન આવવા આદેશ આપ્યો હતો અને રૂમ આગળ જ સ્વલિખિત નોટિસ લગાવી દીધી હતી.