નૌતમ સ્વામી દ્વારા વિવાદીત નિવેદનો આપવાને પગલે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના પ્રમુખ તરીકે તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી, સ્વામિનારાયણ સંતો સમાધાન નહીં કરે તો નુકસાન થશે
આજ રોજ આજે અમદાવાદનાં જમાલપુર વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરે રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના વડા તરીકે જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજની નિમણૂક કરવામાં આવી છે. આ બેઠકમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે સાળંગપુરના ભીંતચિત્રો સહિતના સનાતન ધર્મ મામલે જે વિવાદો છે એ મામલે આંદોલન ચલાવનારા સંતોને સાળંગપુર વિવાદ મામલે મુખ્યમંત્રી સાથેની જે બેઠક કરવામાં આવી હતી એમાં બોલાવવામાં આવ્યા નહોતા, જે યોગ્ય નથી. જે સાધુ-સંતોએ મુહિમ ચલાવી હતી તેમને પણ બોલાવવા જોઈતા હતા. સનાતન ધર્મ માટે સમાધાન જરૂરી છે. સ્વામિનારાયણ સંતોની સાથે સંપર્કમાં છું. સમાધાન માટે પ્રયાસ ચાલુ છે. જો સ્વામિનારાયણ સંતો સમાધાન નહીં કરે તો નુકસાન થશે. સનાતન ધર્મમાં સંતો માટે સમાધાન જ વિકલ્પ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ-સંતોની સાથે પણ ચર્ચા કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે સાળંગપુરના ભીંતચિત્રોના વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામી દ્વારા નિવેદનો આપવામાં આવ્યા હતા, આ વિવાદિત નિવેદન બાદ અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ સ્થાનેથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી હતી. નૌતમ સ્વામીને હટાવાયા બાદ અધ્યક્ષનું પદ ખાલી હતુ. જેમાં જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજને આ જવાબદારી આપવામાં આવી છે. આજે જગન્નાથ મંદિરમાં સંત સમાજની મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજ સહિત આનંદ રાજેન્દ્રગિરી, ચૈતન્ય શંભુ મહારાજ બેઠકમાં હાજર રહ્યાં હતા. તેમજ મોહનદાસજી મહારાજ, અખિલેશ્વર દાસજી સાથે રાજચંદ્રદાસજી, રામમનોહર દાસજી તેમજ વિવિધ સંતો બેઠકમાં હાજર રહ્યા હતા. ધર્માચાર્ય અખિલેશ્વરદાસજી મહારાજ અને ચૈતન્ય શંભુ મહારાજ જેવા સંતોની હાજરીમાં વિધિવત રીતે દિલીપદાસજી મહારાજની પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી. દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના ગાદી પતિ છે. કાર્યકારી અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં મોહનદાસજી મહારાજ અને રાજેન્દ્રગિરિ મહારાજની નિમણૂક કરવામાં આવી છે.