AMU લઘુમતી સંસ્થા છે કે નહીં? સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, હવે નવી બેંચ કરશે સુનાવણી

amu

સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય આપતાં કહ્યું છે કે AMU હાલમાં લઘુમતી સંસ્થાન જ ગણાશે. જો કે, તે હજી પણ વિવાદિત છે કે તે લઘુમતી સંસ્થાન છે કે નહીં. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ત્રણ જજોની બેન્ચ પર છોડી દીધો છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) એ લઘુમતી સંસ્થાન છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. સાત જજોની બેન્ચે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદો એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે આજે સીજેઆઈ ચંદ્રચૂડ નિવૃત્ત થઈ રહ્યા છે અને નિવૃત્તિના દિવસે જ તેમણે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સાત જજોની બેન્ચે 4-3 ના બહુમતથી આ અંગે ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય આપતાં કહ્યું છે કે AMU હાલમાં લઘુમતી સંસ્થાન જ ગણાશે. જો કે, તે હજી પણ વિવાદિત છે કે તે લઘુમતી સંસ્થાન છે કે નહીં. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ત્રણ જજોની બેન્ચ પર છોડી દીધો છે. સુપ્રીમ કોર્ટે એવુ પણ નથી કહ્યું કે AMU લઘુમતી સંસ્થાન નથી. હવે ત્રણ જજોની બેન્ચ આ કેસની નવેસરથી સુનાવણી કરશે. તમામ માપદંડોની ચકાસણી કર્યા બાદ નવા માપદંડ નક્કી કરાશે અને ત્યાર બાદ લઘુમતી દરજ્જા અંગે અંતિમ નિર્ણય આપવામાં આવશે. આવી સ્થિતિમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જૂની આરક્ષણ પ્રણાલી લાગુ રહેશે.

આ મામલે CJI ચંદ્રચૂડે ચુકાદો આપતાં જણાવ્યું કે, આ મામલે ચુકાદો આપતાં પહેલાં અમારી સમક્ષ અનેક પ્રશ્નો હતા કે, કોઈપણ શૈક્ષણિક સંસ્થાને લઘુમતી સંસ્થા તરીકે સ્વીકાર કરવાનો તર્ક શું છે? આ યુનિવર્સિટીની સ્થાપના ધાર્મિક અને ભાષાકીય જ્ઞાન હેતુસર લઘુમતી વર્ગ દ્વારા કરવામાં આવી હોવાથી તેને લઘુમતી સંસ્થા તરીકે સ્વીકારવી યોગ્ય છે. તેનું સંચાલન લઘુમતી વર્ગ દ્વારા થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે, બંધારણની કલમ 30 હેઠળ કોઈપણ ધાર્મિક સમુદાય સંસ્થા સ્થાપિત કરવાનો અધિકાર ધરાવે છે. જેથી આ સંસ્થાને લઘુમતી કોમનો દરજ્જો ન આપવાથી આ કલમનું ઉલ્લંઘન થશે. આ કલમ હેઠળ કોઈપણ લઘુમતી કોમને પોતાના દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાની જ કોમના લોકોને પ્રાધાન્ય આપવાનો હક છે.

સુપ્રીમ કોર્ટે 1967ના અઝીઝ બાશાના ચુકાદાને 4:3ની બહુમતીથી ફગાવી દીધો છે. હકીકતમાં, AMUના લઘુમતી દરજ્જાને લઈને વિવાદ 1965માં જ શરૂ થઈ ગયો હતો. તે સમયની કેન્દ્ર સરકારે AMU એક્ટમાં સુધારો કરીને સ્વાયત્તતા ખતમ કરી દીધી હતી. આ પછી અઝીઝ બાશાએ 1967માં સરકારને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. પાંચ જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે AMU લઘુમતી સંસ્થા નથી. જોકે તેમાં AMU પાર્ટી નહોતી.

1972 માં, ઇન્દિરા ગાંધી સરકારે સ્વીકાર્યું કે AMU લઘુમતી સંસ્થા નથી. આ પછી વિરોધ શરૂ થયો. 1981માં ઈન્દિરા ગાંધી સરકારે પોતે MMU એક્ટમાં સુધારો કર્યો અને કહ્યું કે આ સંસ્થા મુસ્લિમોએ સ્થાપી છે. એવી રીતે યુનિવર્સિટીને લઘુમતી સંસ્થા ગણવામાં આવતી હતી.

2006માં, AMUની JN મેડિકલ કોલેજમાં MD, MSની 50 ટકા સીટો મુસ્લિમો માટે અનામત રાખવામાં આવ્યા બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી સંસ્થા ન હોઈ શકે. આ પછી AMU સુપ્રીમ કોર્ટ પહોંચી.